મુખ્યમંત્રી બદલવાના હોવાથી માહોલ ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાવતા કોંગ્રેસી નેતા
- દિલ્હીથી સ્ક્રીપ્ટ લખાઈ છે : અમિત ચાવડા
અમદાવાદ
વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની નારાજગી બાદ હવે વાઘોડિયાના 6 ટર્મથી ધારાસભ્ય રહેલા તેવા મધુ શ્રીવાસ્તવની નારાજગી શુક્રવારે સામે આવી છે. નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારમાં મંત્રીઓ અમારું સાંભળતા નથી, અમારી ફાઈલો અટકાઈને પડી છે તેવા પણ નિવેદન આપ્યા હતા.
આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, વિજયભાઈની સરકાર પર જનતાને તથા જનતાના પ્રતિનિધિઓ એવા ધારાસભ્યોને વિશ્વાસ રહ્યો નથી.
જયારે આનંદીબેનને મુખ્યમંત્રીના પદેથી હટાવવાના હતા ત્યારે પણ દિલ્હીના રહેલા નેતાઓ દ્વારા આવો માહોલ બનાવવામાં આવ્યો હતો જેની સ્ક્રીપટ દિલ્હીથી લખાઈ હતી અને અત્યારે હાલમાં પણ આ જ ગતિવિધિઓને અનુસરવામાં આવી રહી છે. એક પછી એક ભાજપના ધારાસભ્યો બહાર આવશે. આશરે 25-30 ધારાસભ્યો બહાર આવે તેવી શક્યતા છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ ભાજપના ઉકળતો ચરુ છે. 25-30 ધારાસભ્યો એવા છે કે જેમને વિશ્વાસ રહ્યો નથી. એમને લાગી રહ્યું છે કે સરકારના મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય, તેમનો વહીવટી તંત્ર પર કાબુ રહ્યો નથી. સરકારના અધિકારીઓ તેમને સાંભળતા નથી. સરકારે આ અંગે વિચારવાની જરૂર છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)