ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ : પૂર્વ ગૃહમંત્રીની વેદના‘કોઇ સાંભળતું નથી’…!
ભાજપ સરકારમાં હવે એક પછી એક ધારાસભ્યો બળવાના સૂર વ્યક્ત કરી રહ્યાં છે. ધારાસભ્ય કેતન ઇનામદાર અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકાર સામે બગાવત કરી ચૂક્યાં છે ત્યારે હવે પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ પણ સરકારી તંત્ર સામે સવાલો ખડા કર્યાં છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાવનગરમાં કંસારા શુધ્ધિકરણ પ્રોજેક્ટ અભેરાઇએ ચડાવી દેવાયો છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે તેમ છતાંય ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પ્રજાલક્ષી કામો કરવામાં ય આડોડાઇ કરી રહ્યાં છે. નવાઇની વાત તો એછેકે, નારાજ ધારાસભ્યોને મનાવી વિકાસના કામો કરાવવાની ખાતરી આપતાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના શહેરમાં જ પ્રજાલક્ષી કામો ટલ્લે ચડયાં છે. ભાજપમાં અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા છે. આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોચ્યો છે.ધારાસભ્ય કેતન ઇનામદાર,મધુ શ્રીવાસ્તવ, દુષ્યંત પટેલ, અરૂણસિંહ સહિતના ધારાસભ્યો સરકારી તંત્ર સામે નારાજગી વ્યકત કરી ચૂક્યાં છે. હજુય સરકારી અધિકારીઓ સામે નારાજગીનો સિલીસીલો યથાવત રહ્યો છે.
પૂર્વ ગૃહમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન મહેન્દ્ર ત્રિવેદીએ ભાવનગર શહેરમાં કંસારા શુધ્ધિકરણ પ્રોજેક્ટ મુદ્દે સવાલો ઉઠાવી જણાવ્યું કે, પોરબંદર,રાજકોટ સહિત ગુજરાતના ઘણાં શહેરમાં નદીઓના કાંઠે બ્યુટિફિકેશનના કામો થવાના છે. પણ ભાવનગર શહેરમાં કંસારા શુધ્ધિકરણ પ્રોજેક્ટ માટે સરકારે વર્ષ 2002-03માં રૂા.25 લાખનુ ફંડ આપ્યુ છે. છતાંય કોઇ કામગીરી થઇ નથી. છેલ્લા 17 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ થઇ શક્યુ નથી. જો અન્ય શહેરોમાં રિવર બ્યુટીફિકેશન થતુ હોય તો ભાવનગર શહેરને કેમ લાભ નહીં. મહેન્દ્ર ત્રિવેદીએ ભાવનગર મનપા કમિશનર અને જીપીસીબી સામે કોર્ટમાં ફરિયાદ પણ કરી છે. આમ, ભાજપના ધારાસભ્યએ કંસાર શુધ્ધિકરણ પ્રોજેક્ટ અધ્ધરતાલ થતાં સરકાર સામે બાંયો ખેચી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણીના વિસ્તારમાં જ હવે બળવાના સૂર ઉઠયાં છે પરિણામે પ્રદેશ નેતાગીરી ય ચિંતિત બની છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)