રેલિંગ નાખવાના વિરોધમાં બીજા દિવસે મંગળબજાર સજ્જડ બંધ
વડોદરા,
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને આજે વેપારીઓના વિરોધ વંટોળ વચ્ચે સ્થળ ઉપર ઉભા રહી રેલિંગ લગાવી હતી. મંગળબજારમાંથી પથારા અને લારીઓવાળાઓનું સામ્રાજ્ય દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા રેલિંગ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેનો વેપારીઓએ આજે બીજા દિવસે પણ જડબેસલાખ બંધ પાડી વિરોધ કર્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંગળબજારમાંથી ગેરકાયદે કબજા જમાવીને બેઠેલા પથારા અને લારીઓને દૂર કરવા માટે અગાઉ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ, પાલિકાને સફળતા મળી નથી. પાલિકા દ્વારા ફરી એકવાર મંગળબજારના મુખ્ય રસ્તાની આસપાસ દુકાનોથી ૫૦ ફૂટ દૂર રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના વિરોધમાં મંગળવારે વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. પરંતુ પાલિકા દ્વારા વેપારીઓને કોઇ દાદ આપવામાં આવી ન હતી. અને બુધવારે પણ રેલિંગ લગાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
પાલિકા દ્વારા સવારે રેલિંગ નાંખવાની શરૂઆત કરતા વેપારીઓ દ્વારા વિરોધ શરૂ કરાતા સ્થાયી સમિતિના ચેરમેન સતિષ પટેલ સ્થળ પર દોડી ગયા હતા. અને વેપારીઓના વિરોધ વચ્ચે ઉભા રહીને રેલિંગ લગાવવાની કામગીરી કરાવી હતી. સ્થાયી સમિતિના ચેરમેન રેલિંગ નખાવાની કામગીરી કરાવી રહ્યા હતા. તે સમયે કોંગ્રેસના કાઉÂન્સલર ફરીદ કટપીસવાલા દોડી આવ્યા હતા. અને વેપારીઓની સાથે રહીને સ્થાયી સમિતિના ચેરમેન અને પાલિકાની કામગીરી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા ઉત્તેજના વ્યાપી ગઇ હતી.