મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં આરોપીનું રહસ્યમય મોત
10 દિવસ અગાઉ મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશનમાંથી ભાગેલા કિશોર આરોપીનું અમદાવાદની નરોડા પોલીસ બુધવારે રાત્રે મુકી ગયાના 5 કલાક બાદ રહસ્યમય મોત થતાં ખળભળાટ મચી ગયો છે.કિશોરના શંકાસ્પદ મોતને લઈ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટને ન્યાયિક તપાસ સોંપવામાં આવી છે. મૃતકના થાપાથી ઢીંચણ સુધીના ભાગમાં થયેલી ગંભીર ઇજાના નિશાન અને તેમાંથી ફૂટેલા લોહીની ટસો, નીકળેલી ચામડી જોતાં જ્યુડિશિયલ કસ્ટોડિયલ મોતના કેસમાં પોલીસે ફોરેન્સીક એક્ષપર્ટ તબીબોની પેનલ ટીમથી વીડિયોગ્રાફી સાથે પીએમ કરાવવા લાશ અમદાવાદ મોકલી આપી હતી.મૃતકના માતા,પિતાએ પુત્રની હત્યાનો આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. બી ડિવિજન પોલીસે પ્રાથમિક ધોરણે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી છે.
હત્યા અને મોબાઇલ ચોરીના ગુનામાં કિશોરને ઓબ્ઝર્વેશન હોમમાં રખાયો હતો
અગાઉ ચોરીના ગુનામાં ઓબ્ઝર્વેશન હોમમાં રહી ચૂકેલા કિશોરને અમદાવામાં નરોડાના હત્યા અને સરદારનગરના ચોરીના ગુનામા ધરપકડ બાદ અમદાવાદ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાંથી ગત 2 ડિસેમ્બરે મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં લવાયો હતો.