શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો નથી ? તો કોર્ટને તાળું મારી દો…!!
સરકારની બાકી રકમ ચુકવવામાં અખાડા કરી રહેલી ટેલિકોમ કંપનીઓની સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે કંપનીઓને આ રકમ ચુકવવા માટે 17 માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ મામલાની સુનાવણીમાં કોર્ટે વોડાફોન આઈડિયા અને એરટેલને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, જો 17 માર્ચ સુધીમાં બાકી રકમ નહી ચુકવો તો તે અદાલતની અવમાનના ગણાશે.
સુપ્રીમ કોર્ટના આદેશ છતા મોટાભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી. આ અંગે સુપ્રીમ કોર્ટે કંપનીઓને પુછ્યું કે, તમારા વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે તો કેવું રહેશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો નથી? આ દેશમાં રહેવા કરતા તો સારું છે દેશ છોડીને જતા રહેવું જોઈએ’.
જે ટેલીકોમ કંપનીઓ પર એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂના આધારે સ્પેક્ટ્રમ અને લાઈસન્સ ફીના 1.47 લાખ કરોડ રૂપિયા બાકી છે, એમાંથી માત્ર રિલાયન્સ જીઓએ લગભગ 195 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરી છે. આ અંગે જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે ભારતી એરટેલ, વોડાફોવ. એમટીએનએલ, બીસીએનએલ, રિલાયન્સ કોમ્યુનિકેશન, ટાટા ટેલીકોમ્યુનિકેશન્સ અને અન્ય મેનેજિંગ ડાયેક્ટર્સને 17 માર્ચ હાજર થવા માટે કહ્યું છે.
દૂરસંચાર વિભાગના મહેસૂલ કેસ સાથે જોડાયેલા એક ડેસ્ક અધિકારીએ ગત દિવસોમાં એટોર્ની જનરલ અને બંધારણીય પદો પર બેઠેલા અન્ય અધિકારીઓને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી ટેલીકોમ કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે, ભલે તેઓ AGR કેસમાં બાકીની ચુકવણી કરે કે ન કરે.
આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે અમે પહેલા જ ટેલીકોમ કંપનીઓને ચુકવણીનો આદેશ આપી ચુક્યા છીએ, તો કોઈ ડેસ્ક અધિકારી આવો આદેશ કેવી રીતે આપી શકે છે? અમને નથી ખબર કે માહોલ કોણ બગાડી રહ્યું છે. શું દેશમાં કોઈ કાયદો જ વધ્યો નથી? કોઈ અધિકારી કોર્ટના આદેશ વિરુદ્ધ જવાની હિંમત કરી શકે છે તો કોર્ટને તાળા લગાવી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે જો કોઈ અધિકારીએ એક કલાકની અંદર આદેશ પાછો ન લીધો તો તેને જેલમાં ધકેલી દેવાશે.
(જી.એન.એસ.)