ટ્રમ્પનું આગમન લોકો માટે મુશ્કેલરૂપ બન્યું, પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા ઉભી કરી દીવાલ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતો પ્રવાસ કરવાના છે. આ દરમિયાન તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. અહીં તેમની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. અમદાવાદમાં જે રસ્તા પર થઈને ટ્રમ્પનો કાફલો પસાર થવાનો છે, તે રસ્તાની આસપાસના વિસ્તારોને સુંદર દેખાડવા માટે સ્થાનિક સત્તાધીશો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ વહીવટી તંત્રએ માત્ર રસ્તાની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીને ઢાંકવા માટે દીવાલ જ નથી ઉભી કરી, પરંતુ એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, અમદાવાદ મ્યૂન્સિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અહીંની દેવશરણ ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારોને ઘર છોડાવા માટેની નોટિસ ફટકારી છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી સમાચાર પ્રમાણે, અહીં 200 ઝૂંપડામાં બાંધકામની સાઈટો પર કામ કરતા શ્રમજીવી પરિવારો રહે છે.
તેમણે દાવો કર્યો છે કે, તેમને એક પ્લોટ ખાલી કરવા જણાવાયું છે. શ્રમજીવીઓનું કહેવું છે કે, તેમને “નમસ્તે ટ્રમ્પ”ના કાર્યક્રમના કારણે અહીંથી જવા માટે કહેવાયું છે. જણાવી દઈએ કે, અંદાજે 2 દાયકાથી આ તમામ મજૂરો અહીં રહી રહ્યાં છે. જો કે AMC અધિકારીઓનું કહેવું છે કે, આ નોટિસ અને ટ્રમ્પના આગમન સાથે કોઈ લેવાદેવા નથી. જણાવી દઈએ કે, સ્થાનિક વહીવટી તંત્રએ આ પગલુ ઝૂંપડપટ્ટીઢાંકવા માટે દીવાલ ઉભી કર્યાના થોડા દિવસો બાદ જ ભર્યું છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, નોટિસ આપવા માટે આવેલા AMC અધિકારીઓએ અમને જેમ બને તેમ જલ્દી ઘર ખાલી કરવા જણાવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ મોટેરા સ્ટેડિયમમાં આવી રહ્યાં હોવાથી સ્થાનિક અધિકારીઓ ઈચ્છે છે કે, અમે જતા રહીએ.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)