ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં નાખ્યા ધામા, સંગઠનમાં નવાજૂની થવાના એંધાણ..!
અમદાવાદ,
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવા પહોંચ્યા છે. સંગઠન બેઠક બાદ પ્રદેશ પ્રભારી સીએમને મળવા જતા રાજકારણ ગરમાયુ છે. જો કે મુખ્યમંત્રી રૂપાણી સાથે તેમની આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવાઇ રહી છે. પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફાર થવાના દિવસ ગણાય છે. એવામાં રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત આવ્યા. અને બજેટને લઈને કાર્યશાળા યોજી હતી. તો પ્રભારી ભૂપેન્દ્ર યાદવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
સુત્રોની જો વાત માનીએ તો આગામી સમયમાં સંગઠનમાં થનારા ફેરફાર અંગે પણ પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં રાજ્ય અને કેન્દ્રીય બજેટને મુદ્દે કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં લોકોને સીધા જ સ્પર્શતા મુદ્દા ઉપર ભાર આપવામાં આવ્યો. અને લોકો સુધી આ મુદ્દા પહોંચાડવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠક પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.
બજેટ સત્ર ચાલુ હોવાથી આ બેઠકમાં સીએમ રૂપાણી હાજર ન હતા. પરંતુ બેઠક બાદ ભૂપેન્દ્ર યાદવે સીએમ રૂપાણી સાથે મુલાકાત કરી હતી. ત્યારે સૂત્રોની માહિતી મુજબ આગામી સમયમાં સંગઠનમાં ફેરફાર થવાના છે. જેથી હાઈકમાન્ડે જે સૂચન આપ્યા હશે તે પ્રમાણે ફેરફાર થશે. જેને લઈને પણ પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કરી હતી. આમ તો સંગઠન સહ રચનાની કામગીરી ડિસેમ્બર માસમાં પૂર્ણ થવાની હતી. પરંતુ અલગ અલગ કારણોસર આ કામગીરી અટકી ગઈ હતી. પરંતુ હવે રાષ્ટ્રીય નેતાઓએ મુલાકાત લેતા ફરી વખત પ્રદેશ નેતાઓને હાશકારો થયો હશે કે હવે આ કામગીરી આરંભવામાં આવશે.