વડીલજનો કોરોનાના ચેપ થી બચવા આરોગ્ય સૂચનો નો અમલ કરે: મહીસાગર કલેક્ટરની અપીલ
લુણાવાડા,
વિવિધ કારણોસર વડીલ વૃદ્ધ જનો કોરોના વાઇરસ COVID-19 નો ભોગ બનવાની વધુ શક્યતા રહેલી છે. તેને અનુલક્ષીને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી આરી.બી.બારડે વડીલ જનોની વિશેષ કાળજી લેવા અને એમને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
વડીલ જનોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને તેમાં પણ જો હૃદય,કિડની, ફેફસાં,રક્ત ચાપ કે ડાયાબિટીસ જેવા રોગો થી જે વડીલો પીડિત છે, તેઓને કોરોના નો ચેપ ઝડપ થી અને સહેલાઇ થી લાગી શકે છે. એટલે તેઓ જાતે કેટલીક તકેદારીઓ પાળે અને તેમના કુટુંબી તેમની ખાસ કાળજી લે એ હિતાવહ છે
હાલના સંજોગોમાં વડીલો ઘરમાં જ રહે અને મુલાકાતીઓને ના મળે અને મળવું અનિવાર્ય હોય તો ખૂબ અંતર રાખી મળે, વારંવાર સાબુ અને પાણીથી હાથ ધુવે,ખાંસી સાથે નીકળતા કફના ગળફા થી દૂષિત થયેલા હાથ સાબુ અને પાણી થી બરાબર ધુવે, દૂષિત ટિસ્યુ પેપરનો સલામત રીતે નાશ કરે, હાથ રૂમાલ સાબુ થી બરાબર ધુવે, પાણી અને ફળોના રસનું સારા એવા પ્રમાણમાં સેવન કરે, ગરમ, તાજું અને પૌષ્ટિક ભોજન કરે, પ્રમાણસર ધ્યાન અને કસરત કરે, રૂબરૂ ને બદલે ફોન કે વિડિયો કોલ થી વાત કરે, મોતિયા સહિતની હાલમાં ચાલી જાય તેમ હોય તેવી સર્જરી મોકૂફ રાખે, વારંવાર હાથ અડતો હોય એવા ટેબલ કે અન્ય સપાટીની વારંવાર સફાઈ અને જંતુમુક્ત કરે, પોતાના આરોગ્યની તકેદારી લે, તાવ, શરદી કે શ્વાસમાં મુશ્કેલી જણાય તો તરત જ ડોકટરની સલાહ લે એવી ભલામણ કરવામાં આવી છે. એની સાથે તાવ અને કફ,ખાંસી શરદી થી પીડાતા લોકોના સંપર્ક થી દૂર રહે, હાલમાં બગીચા કે ભીડભાડ વાળી જગ્યા, ધર્મ સ્થળમાં ના જાય, કોઈની સાથે હાથના મિલાવે, જાતે ડોકટર બની કોઈ દવા ના લે અને તબીબની ભલામણ ને જ અનુસરે અને પોતાના તબીબ સાથે નિયમિત સંપર્ક જાળવે એ પ્રકારની તકેદારીઓ પાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.