પાક. એર સ્પેસનો ઉપયોગ કરી પીએમ મોદી બિશ્કેક જશે, ઈમરાને આપી મંજૂરી
ઇસ્લામાબાદ,
ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલા તણાવની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લેનને કિર્ગિસ્તાન જવા માટે પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન મોદી ૧૩ અને ૧૪ જૂનના રોજ શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા બિશ્કેક જઈ રહ્યા છે.
મળતી જાણકારી મુજબ, ભારત સરકારે પાકિસ્તાનને તેમના એરસ્પેસ વડાપ્રધાનના પ્લેનને પસાર થવા માટે અનુરોધ કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ભારત સરકારના અનુરોધનો સ્વીકાર કરતાં તેની મંજૂરી આપી દીધી છે.
એસસીઓની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, આ દરમિયાન પીએમ મોદી અને ઈમરાનની મુલાકાત પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ હુમલો કર્યા બાદથી પાકિસ્તાને ૨૬ ફેબ્રુઆરીએ પોતાના એરસ્પેસને સમગ્રપણે બંધ કરી દીધું હતું. બાદમાં ૧૧માંથી માત્ર બે રસ્તાને ખોલવામાં આવ્યા હતા. આ બંને રસ્તા દક્ષિણ પાકિસ્તાનની ઉપરથી પસાર થાય છે.
પાકિસ્તાનના એક અધિકારી મુજબ, ઈમરાન ખાન સરકારે વડાપ્રધાનના પ્લેનને પાકિસ્તાન એરસ્પેસથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે. ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ભારત સરકારને માહિતગાર કરવામાં આવશે.
આ સંબંધમાં એરમેનને પણ સૂચતિ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે પાકિસ્તાનને આશા છે કે આવું પગલું ઉઠાવ્યા બાદ ભારત તેમની શાંતિ વાર્તાની રજૂઆતને સ્વીકારશે.
આ પહેલા પાકિસ્તાને ૨૧ મેના રોજ ભારતના તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને કિર્ગિસ્તાનના બિશ્કેકમાં એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થવા માટે પાકિસ્તાની વાયુ ક્ષેત્રથી સીધા ઉડાણ ભરવાની ખાસ મંજૂરી આપી હતી.
ભારતીય વાયુસેનાએ ૩૧ મેના રોજ જાહેરાત કરી હતી કે બાલાકોટ હવાઈ હુમલા બાદખ ભારતીય વાયુ ક્ષેત્ર પર લગાવવામાં આવેલા તમામ અસ્થાઈ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. જાકે, તેનાથી કોઈ પણ કોમર્શિયલ એરલાઇનને ફાયદો મળવાની શક્યતા નથી જ્યાં સુધી પાકિસ્તાન પોતાનું વાયુ ક્ષેત્ર નથી ખોલતું. પાકિસ્તાની વાયુ ક્ષેત્ર બંધ થવાથી એર ઈન્ડિયા અને ઇન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પ્રભાવિત છે.