સારા વરસાદથી નષ્ટ થવાની આરે આવેલ પાકને મળ્યું જીવનદાન
રાજપીપળા,
અસહ્ય ગરમી અને ઉકળાટના લાંબા વિરામ બાદ મોડી રાત્રે નર્મદાના પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ તુટી પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 10 દિવસના વરસાદી વિરામ બાદ વરસાદ ખેંચાતા નર્મદામાં અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. ખાસ કરીને 67હજાર હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું હતું. જેમાં વરસાદ ન પડતાં ઊભો પાક સૂકાવા લાગ્યો હતો, તેથી ખેડૂતો ચિંતીત થયા હતા અને ખેતીલાયક સારા વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. પણ ગઈકાલે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મોડી રાત્રે કડાકાભેર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો, અને મોડી રાત્રે સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સારો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને નષ્ટ થવાની આરે આવેલા પાકને મળ્યું જીવનદાન મળ્યું હતું. જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની અને કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થયો હતો.
જેમાં નાંદોદ, સાગબારા તાલુકામાં બે ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે દેડીયાપાડા અને તિલકવાડા તાલુકામાં પણ દોઢ ઇંચ વરસાદ થયો હતો. ગરુડેશ્વર તાલુકામાં એક ઇંચ વરસાદ થયો હતો. વરસાદના આંકડા જોતાં સૌથી વધુ વરસાદ નાંદોદ તાલુકામાં 52 મીમી (બે ઇંચ )સાગબારા તાલુકામાં 46 મીમી (બે ઇંચ), દેડીયાપાડા તાલુકામાં 36 મીમી (દોઠ ઇંચ ) તિલકવાડા તાલુકામાં 32 મીમી (દોઢ ઇંચ) વરસાદ અને ગરુડેશ્વર તાલુકા માં 25મીમી (એક ઇંચ )વરસાદ થયો છે. નર્મદામાં 24 કલાકમાં કુલ 191 મીમી ( સરેરાશ 37 મીમી) વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદાના અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 1408 મીમી ( સરેરાશ 282 મીમી )વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે નર્મદાના તમામ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે જેમાં નર્મદા ડેમની સપાટી 121.43 મીટર પર પહોંચી છે, જ્યારે કરજણ ડેમની સપાટી 99.83 મીટર, નાના કાકડીઆંબા ડેમની સપાટી 179. 20 મીટર, ચોપડવાવ ડેમની સપાટી 178.90 મીટર નોંધાઈ છે અને નર્મદા ગરુડેશ્વર નર્મદા નદી નું ગેજ લેવલ14.58 મીટર નોંધાઈ છે.