અંબાજીનાં મહામેળા માટે ૧૧૦૦ એસટી બસોનું સંચાલન કરાશે
અંબાજી,
દેશ અને વિશ્ર્વના સૌથી મોટા પગપાળા મેળાને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સજ્જ છે, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, તોલમાપ ખાતા અને એસટી વિભાગ સિવાય અન્ય વિવિધ વિભાગો ૨૪ કલાક સતત ૭ દિવસ સુધી મેળાનું સંચાલન કરે છે ત્યારે સૌથી વધુ જેની જવાબદારી છે તે એસટી વિભાગ આ વખતે પણ અંબાજી મહામેળાને લઇ કુલ ૧૧૦૦ એસટી બસો દ્વારા માઈ ભક્તોને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા આ વખતે કરશે.
૮ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ભાદરવી મહાકુંભમાં એસટી વિભાગ તરફથી માઈ ભક્તોની સેવા માટે વિવિધ આગોતરા આયોજન કરાય છે ત્યારે આ વખતે એસટીના ૪ વિભાગો તરફથી પાલનપુર, હિંમતનગર, અમદાવાદ અને મહેસાણા તરફથી વધારાની એસટી બસોનું સંચાલન કરવામાં આવે છે અને અંબાજી બસ સ્ટેન્ડનું કાયમી બસસ્ટેન્ડ મેળાના ૭ દિવસ બંધ કરી જીએમડીસી ગ્રાઉન્ડમાં ઊભું કરી બસોનું સંચાલન કરવામાં આવે છે.
આ સિવાય દાંતા રોડ, કૈલાશ ટેકરી પાસે અને આબુરોડ માર્ગ પર હંગામી એસટી બસ પોઇન્ટ ચાલુ કરી ગુજરાતના વિવિધ ગામોના રૂટોનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય અંબાજીના મેળામાં ૧૦ બૂથો પણ એસટી વિભાગ દ્વારા આખા મેળાનું સંચાલન કરવામાં આવે છે.