ગણેશ પંડાલમાં ટીખળખોરોએ તોડફોડ કરી, મૂર્તિ ખંડિત થતા લોકોમાં રોષ
સુરત,
ખટોદરા જીઆઇડીસી વિસ્તારના ગણેશ પંડાલમાં રાત્રિ દરમ્યાન ટીખળખોરોએ તોડફોડ કરવાની સાથે મૂર્તિને પણ ખંડિત કરતા ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેને પગલે પોલીસ દોડી આવી હતી.
ખટોદરા જીઆઇડીસી વિસ્તારની મનાલી ડાઇંગ પાસે સ્થાનિક વિસ્તારના રહેવાસીઓએ ગણેશજીની સ્થાપના કરી હતી. ગત રાત્રિ દરમ્યાન કેટલાક ટીખળખોરોએ મંડપમાં ઘુસા જઇ તોડફોડ કરી હતી ઉપરાંત ગણેશજીની મૂર્તિ પણ ખંડિત કરી હતી.
સ્થાનિક લોકોના કહેવા મુજબ ગણેશજીની મોટી મૂર્તિ તો ખંડિત કરી હતી ઉપરાંત ગૌરી ગણેશજીની મૂર્તિ આખી તોડી નાંખી હતી. ઉપરાંત મંડપમાં મુકવામાં આવેલો પૂજાપાઠનો સરસામાન પણ વેરવિખેર કરી નાંખ્યો હતો. સવારે આરતી કરવાના સમયે લોકો એકઠા થયા ત્યારે પંડાલમાં થયેલી તોડફોડ અને મૂર્તિ ખંડિત થયેલી જાઇ ચોંકી ગયા હતા.