નર્મદા ડેમમાંથી વધુ પાણી છોડવાને કારણે ઉભી થનારી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૭.૦૧ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે. તેની સાથોસાથ આજે સાંજે ૫:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજા ૪.૧૫ મીટરે ખોલવા મા આવ્યા હતા તદ્દઉપરાંત આજે નર્મદા ડેમમાં ૧૦,૧૬,૦૦૦ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૮,૦૯,૦૧૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયોછે
નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, આજે બપોરે નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૭.૧૩ મીટર નોંધાઇ છે. નર્મદા ડેમમાં ૭.૮૧ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે અને ૭.૫૧ લાખ ક્યુસેક પાણી ડીચાર્જ કરવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના ૨૦ જેટલા ગામોને ૩ દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે.
આગામી સમયમાં સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી છે. નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે. દરરોજ નિયત ધારા ધોરણ મુજબ ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે, તેવી જાણકારી પણ પટેલે આપી હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા