અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો કાર્યક્રમ યોજાયો
ભરૂચ,
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા વિધવા સહાય યોજા હેઠળ અંકલેશ્વર તાલુકાની વિધવા મહિલાઓને માસિક પેન્શન અંગેના નિમણૂંકપત્રો આપવાનો કાર્યક્રમ સહકાર રમત, યુવા સેવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી આર.કે.ભગોરા, પ્રાંત અધિકારી – હાંસોટ શ્રી વિઠાની, તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતિ માલતીબેન સોલંકી, કારોબારી અધ્યક્ષ શ્રી ભરતભાઈ પટેલ, તાલુકા આગેવાનશ્રી હિતેન્દ્રસિંહ દેવધરા ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, અંકલેશ્વર તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસથી આજે આ ૪૫૪ જેટલી વિધવા બહેનોને માસિક પેન્શનના નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા છે જે બદલ તમામની કામગીરીન બિરદાવી હતી. સાથે આટલી મોટી સંખ્યામાં વિધવા બહેનોને ધક્કા ખાવા ન પડે તેવા પ્રયાસોને પણ મંત્રીશ્રીએ બિરદાવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના વરદહસ્તે અંકલેશ્વર તાલુકાની ૪૫૪ વિધવા બહેનોને માસિક પેન્શનના નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આગેવાન-પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિધવા બહેનો ઉપસ્થિત રહી હતી.