લુણાવાડા તાલુકાના ઉકરડી ગામના પુનમચંદભાઇ પટેલની પ્રેરણાદાયક આધુનિક શાકભાજીની ખેતી
મહિસાગર,
મહીસાગર જિલ્લો ખેતી અને પશુપાલન આધારીત જિલ્લો હોય આ જિલ્લાના ખેડૂતો હવે સરકારશ્રી દ્રારા યોજાતા કૃષિ મહોત્સવ માં મળેલ આધુનીક ખેતી પધ્ધતિના માર્ગદર્શન અને આત્મા પ્રોજેકટ ના સંપર્કમાં આવતાં આજે વૈજ્ઞાનિક ખેતી તરફ વળ્યા છે મહીસાગર જિલ્લાનાં લુણાવાડા તાલુકાના સુથારવાડી ઉકરડી ગામનાં પ્રગતિશીલ ખેડૂત પુનમચંદભાઇ નાથાભાઇ પટેલે વૈજ્ઞાનિક પધ્ધતિ થી શાકભાજીમાં દુધી ની ખેતી ના વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની એક એકર જમીનમાં શાકભાજીની ખેતી કરી મબલક પાક ઉત્પાદન મેળવી આર્થિક સધ્ધરતા ના પંથે આગળ વધી રહયાં છે.
આ ઉત્સાહી પ્રયોગશીલ ખેડૂત પુનમચંદભાઇ નાથાભાઇ પટેલે જણાવ્યું હતું કે પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથો સાથ તેઓ શાકભાજીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે. તેઓ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ તાલીમ કાર્યક્રમમાં શાકભાજીની ખેતી વિશે જાણકારી મેળવીશાકભાજીમાં દુધીની ખેતી શરૂ કરી જેના માટે સારું હાઇબ્રીડ બીયારણ લાવ્યા, આ દુધીની ખેતીમાં ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરી વાવેતર કર્યું જેથી ટપક સિંચાઇ પધ્ધતિના ઉપયોગ થી પાણીનો બચાવ થયો અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો. સાથે વર્મિકમ્પોસ્ટ અને જૈવિક ખાતરોનો પણ ઉપયોગ કર્યો.ખાતર આપવા માટે ટપક પધ્ધતિમાં પાણી સાથે ખાતર મીક્ષ કરી આપવાનીં શરૂઆત કરી જેથી કરીને સમય અને ખાતરનો બચાવ થયો તેમજ ખાતર ખર્ચમાં ઘટાડો થયો. તેની સાથો સાથ શાકભાજી પાકમાં ટપક-સિચાંઇ, સંકલીત પોષણ વ્યવસ્થાપન, સંકલીત જીવાત નિયંત્રણ, ગ્રેડીંગ પધ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને ખેતી ખર્ચ અને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી પુનમચંદભાઇ પટેલ હવે એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮માં આ દુધીની ખેતીમાં રૂા.૨,૫૩,૦૦૦/-ની આવક થઇ તેમાંથી રૂા.૩૦,૦૦૦/- ખેતી ખર્ચ બાદ કરતાં રૂા.૨,૨૩,૦૦૦/- નો નફો આ ખેતી માંથી મળ્યો તેના થકી પોતાના પરિવારમાં બાળકોને સારું શિક્ષણ અને કારકીર્દી ઘડતરમાં આધુનિક ખેત પધ્ધતિનો મહત્વનો ફાળો રહ્યો છે.
આ સિધ્ધી બદલ આત્મા યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૭-૧૮ નો તાલુકા કક્ષાનો “બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ“ થી લુણાવાડા ખાતે યોજાયેલ કૃષિ મેળામાં મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા. પુનમચંદભાઇ જણાવતાં કહે છે કે ખેડૂતો સમયાંતરે મારા ફાર્મની મુલાકાત લઇ આ ખેત પધ્ધતિ અપનાવેલ છે.આ ખેતી ઓછા પાણીવાળા વિસ્તાર માટે આશીર્વાદ સમાન છે. તેમજ આડોશ-પાડોશના ખેડૂતોને પણ શાકભાજી પાક ઉત્પાદન માટેની પ્રેરણા મેળવીને તેઓ પણ હવે બાગાયતી પાકો તરફ વળ્યા છે.