કઠલાલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તથા મા કાર્ડ/આયુષ્માન કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો
નડિયાદ
આયુષ્માન ભારત પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે મા કાર્ડ / આયુષ્માન કાર્ડ કાઢવાનો કેમ્પ તથા જિલ્લા કક્ષાનો સર્વરોગ નિદાન કેમ્પ કચ્છી કડવા પાટીદારની વાડી, કઠલાલ ખાતે યોજાયો હતો જેને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, કારોબારી ચેરમેનશ્રી જયંતિભાઇ સોઢા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ડી.સી.જાગાણી અને સિવિલ સર્જન ર્ડા.પાઠક તથા મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકયો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે જણાવ્યું કે જો તમે વ્યસન મુક્ત રહેશો તો નિરોગી પણ રહેશો. પરંતુ કોઇક સંજોગોમાં જો બિમારી આવી જાય તો કુટુંબ આર્થિક રીતે પાછળ પડી જાય છે. આ સંજોગોમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમલમાં મુકેલી આયુષ્માન ભારત યોજના ઉપરાંત મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને મા અમૃતમ યોજના અંતર્ગત જો કાર્ડ કઢાવવામાં આવે તો સરકારી કે સરકાર સાથે એમ.ઓ.યુ કરેલ ખાનગી હોસ્પિટલોમાં રૂા. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે થાય છે તેથી કઠલાલ શહેર અને તાલુકાની આમ જનતાએ એક જ જગ્યાએથી આપણે જેને મા કાર્ડ કહીએ છે તે મળી રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેનેા લાભ લેવા જણાવ્યું હતું.
શ્રીમતી પટેલે જણાવ્યું કે કોઇપણ કુટુંબની આવક રૂા. ૪ લાખ કે તેથી ઓછી હોય અથવા જેમનો સ્કોર ૦ થી ૨૦ નો હોય / બી.પી.એલ કુટુંબ હોય અને આયુષ્માન કાર્ડ માટે ૨૦૧૧ ના સેન્સેસમાં નામ આવતું હોય તે કે સિનિયર સીટીઝન એટલે કે ૬૦ વર્ષથી વધુના પછી તે નિવૃત્ત સરકારી કર્મચારી હોય તો તે પણ વાર્ષિક રૂા. ૬ લાખથી ઓછી આવક હોય તો આ કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત આશા બહેનો અને ફિક્સ પગારમાં નોકરી કરતા વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારીઓને પણ મા કાર્ડ યોજનાનો લાભ મળવાપાત્ર છે તેમ ઉમેર્યુ હતું.
કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઇ સોઢાએ કઠલાલ તાલુકાના ૫૮ ગામના ૨ લાખ ઉપરાંત રહીશોએ સરકારશ્રીની આરોગ્ય વિષયક મા યોજનાનો લાભ મેળવી કુટુંબમાં આવી પડતી આરોગ્ય વિષયક ચિંતામાંથી મુક્ત બનશો તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. ડી.સી.જાગાણીએ સૌનો આવકાર કરી કઠલાલ તાલુકામાં બે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૬ પ્રાથમિક આરોગ્ય કેન્દૃ્, ૧ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૩૮ પેટા આરોગ્ય કેન્દ્ર પરથી આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે આયુષ્માન ભારત યોજના ઉપરાંત મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને મા અમૃતત્મ યોજનાના કાર્ડનું વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ જિલ્લા કક્ષાના સર્વરોગ નિદાન કેમ્પમાં જનરલ ઓ.પી.ડી, જનરલ સર્જન, ફીજીશીયન, પીડીયાટ્રીશીયન, ગાયનોકોલોજીસ્ટ, દાંત, રસીકરણ, લેબોરેટરી અને દવાનો વિભાગ ઉપરાંત મા કાર્ડ, મા વાત્સલ્યકાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડ કઠલાલ તાલુકાની જનતાને આરોગ્ય વિષયક સુવિધા એક જ જગ્યાએથી પૂરી પાડવામાં આવી છે. આ કેમ્પમાં કઠલાલ શહેર અને તાલુકાની જનતાએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ મેળવ્યો છે તેમ ર્ડા. જાગાણીએ જણાવ્યું છે. આ પ્રસંગે સિવિલ સર્જન ર્ડા. પાઠક હાજર રહ્યા હતા. આ કેમ્પમાં જિલ્લા અને તાલુકાના આરોગ્ય વિભાગના ર્ડાકટર અને કર્મીઓએ હાજર રહી પોતાની સેવાઓ આપી હતી.