મહેસાણામાં જમવાના નાણાં ચૂકવવા મુદ્દે મિત્રની છરી હુલાવી હત્યા
મહેસાણા શહેરના બાયપાસ રોડ પર આવેલ પાંચોટ સર્કલ ઉપર રવિવારે રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે ફ્રાય સેન્ટરમાં જમવાનું બીલ ચુકવવાના મામલે તકરાર સર્જાઇ હતી. અને ઉશ્કેરાઇ ગયેલા એક શખસે નાનીદાઉના યુવાન ઉપર જીવલેણ હુમલો કરીને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી ગંભીર રીતે ધવાયેલા યુવાનને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મહેસાણા તાલુકાના પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.
મહેસાણાના બાયપાસ રોડ પર આવેલ પાંચોટ સર્કલ રાજફ્રાય સેન્ટર નામક ખાણીપીણીનાં સ્થળે રવિવારની મોડી રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે મહેસાણા તાલુકાના નાનીદાઉ ગામે આવેલા રેલવેપુરામાં રહેતા કિરણ વનરાજજી ઠાકોર(વાઘેલા)અને તેમના ભત્રીજા હીરાજી વીહાજી વાઘેલા ગયા હતા. અહીં અગાઉથી જમવા આવેલા શહેરના રાજીવ બિગ્રેડનગરમાં રહેતા મનોજસિંહ ઉર્ફે મનુજી અજમલજી ઠાકોરે જમવાના પૈસા ચુકવવાના મુદ્દે કિરણ ઠાકોર સાથે તકરાર કરી હતી. અને રાજાપાઠમાં બિભત્સ ગાળો હતી.
રાજાપાઠમાં બિભત્સ ગાળો આપતાં મામલો એકાએક ઉગ્ર બની ગયો હતો. અને મનોજ ઠાકોરે ઉશ્કેરાઇ જઇ પોતાની કમરમાંથી છરી કાઢીને હીરાજી વાઘેલાના પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. છરીના જીવલેણ ઘાને કારણે હીરાજી લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડતાં સારવાર માટે મહેસાણામાં આવેલ નવજીવન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મહેસાણા બાયપાસ રોડ પર સર્જાયેલ હત્યાની ઘટના અંગે કિરણ ઠાકોરે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી મનોજ વિરૃધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ પીઆઇ એસ.બી.મોડીયા ચલાવી રહ્યા છે.
પોલીસે આરોપી ની અટકાયત કરી
મહેસાણા બાપયાસ રોડ પર પાંચોડ સર્કલ નજીક મોડી રાત્રે સર્જાયેલી હત્યાની ઘટનામાં સંડોવાયેલ આરોપી મનોજ ઉર્ફે મનુજી અજમલજીની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. અને તેને કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.