રાહુલ ગાંધીના નજીકના ગણાતા મધ્યપ્રદેશના પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનની સ્ટેચ્યુની મુલાકાતથી રાજકીય ખળભળાટ
- મીનાક્ષી નટરાજને નર્મદા યોજનાના 6 ગામોના અસરગ્રસ્તોની મુલાકાત લીધી.
- આદિવાસીઓ દ્વારા થતો વિરોધ અને નર્મદા યોજના અસરગ્રસ્તોની લડતનો મુદ્દો બની ગયો છે.
- આદિવાસીઓના વિકટ પ્રશ્નો ને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં સ્થાનિકોને રોજગારી નો મુદ્દો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સમયમાં સંસદમાં ઉઠાવશે ? !
રાહુલ ગાંધીના નજીકના ગણાતા અને કિચન કેબિનેટના સભ્ય એવા કોંગ્રેસ નેતા મધ્યપ્રદેશના પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજને સ્ટેચ્યુની મુલાકાત લેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં કેવડિયાની મુલાકાત લઇ મીનાક્ષી નટરાજને નર્મદા યોજનાના છ ગામો ના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. મીનાક્ષી નટરાજને ગ્રામજનો સાથે મુલાકાત કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. તેઓએ અહીંયાં નર્મદા યોજનાના અસરગ્રસ્તોના ગામો પૈકી કેવડીયા, વાગડિયા, નવાગામ, લીમડી, કોઠી, ગોરા વિગેરે ગામના આગેવાનો પાસેથી માહિતી લઈ રોજગારી સહિત અનેક મુદ્દે રજુઆત સાંભળી હતી, સાથે મુલાકાત કરી ગ્રામજનોની આપવીતી સાંભળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનીક 6 ગામના અસરગ્રસ્ત ગામો વર્ષોથી પોતાની વિવિધ માંગો લઈ લડત લડી રહયા છે. તેઓ હવે પોતાની જમીનો આપવા માંગતા નથી.ત્યારે મિનાક્ષી નટરાજનની આ મુલાકાત પરથી એવું લાગી રહ્યું છે કે નર્મદા યોજનાના 6 ગામના આદિવાસીઓના વિકટ પ્રશ્નો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિકોને રોજગારીનો મુદ્દો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સમયમાં સંસદમાં ઉઠાવશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.રાહુલ ગાંધીના ઈશારે મિનાક્ષી નટરાજને નર્મદા અસરગ્રસ્તોની મુલાકાત લીધી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)